બુધવાર, 21 માર્ચ, 2018


૧૮૫૨માં ગુજરાતી ભાષાનું પ્રથમ કવિ સંમેલન અંગ્રેજ અધિકારીએ ભર્યું હતું!


- ૨૧ માર્ચ, વિશ્વ કવિતા દિવસ

- ૧૮૫૨માં ઇડરમાં ભરાયેલા કવિસંમેલનનો અહેવાલ દલપતરામે 'કવિતા વિલાસ' કાવ્યરૃપે લખેલો


૧૧૬૯માં ગુજરાતીમાં જૈન કવિ દ્વારા લખાયેલી પ્રથમ રચના કવિતા જ હતી!

સાહિત્યના બે સ્વરૃપો ગદ્ય અને પદ્ય પૈકી પદ્યની વાત આવે ત્યારે કવિતા સૌથી પહેલી યાદ આવે. પદ્યમાં કવિતા સૌથી વ્યાપક અને સૌથી વધુ લોકપ્રિય સ્વરૃપ છે. વિશ્વભરમાં કવિતાની પરંપરા જળવાઈ રહે એટલા માટે 'યુનેસ્કો' દ્વારા ૧૯૯૯થી દર વર્ષે ૨૧મી માર્ચ 'વિશ્વ કવિતા દિવસ (વર્લ્ડ પોએટ્રી ડે)' તરીકે ઉજવાય છે.

૧૮૪૫માં દલપતરામે રચેલી કવિતા 'બાપાની પીંપર' ગુજરાતી ભાષાની પ્રથમ અર્વાચીન કવિતા ગણાય આવે છે. આ લાંબુ કાવ્ય મૂળ તો ગ્રીષ્મ ઋતુનું વર્ણન છે. જોકે એ વખતે તો દલપતરામે કવિતાને 'કથાંતર અથવા ફારસ' એવુ ઉપશિર્ષક પણ આપ્યું હતું. કેમ કે એ કવિતા સ્વતંત્ર ન હતી, પંરતુ દલપતરામે રચેલા ઋતુવર્ણન વચ્ચે તેને મુકવામાં આવી હતી. એ કવિતાની શરૃઆત 'વિચારીને વઢવાણથી, લીધો લીંબડી પંથ, વિતક વણરવતાં  વધે, ગ્રીષ્મ વરણનગ્રંથ..' એવી પંક્તિથી થતી હતી.
બીજી તરફ ૧૮૫૨માં ગુજરાતી ભાષાનું પ્રથમ કવિ સંમેલન ઈડર ખાતે યોજાયુ હતુ. તેનું આયોજન ગુજરાતી કવિને બદલે અંગ્રેજ અધિકારી અને સવાયા ગુજરાતી એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસે કર્યું હતુ. ફાર્બસને ગુજરાતી શીખવા માટે દલપરામની મદદ મળી હતી. ફાર્સબના સંગાથને કારણે જ દલપતરામ વ્રજ ભાષા પડતી મુકીને ગુજરાતીમાં લખતા થયા હતા. એ અગાઉ દલપતરામને કવિતામાં રસ સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ સાથેના સત્સંગને કારણે પડયો હતો.

૧૮૫૦ના ગાળામાં ફાર્બસ મહિકાંઠા તરીકે ઓળખાતા વિસ્તારના પોલિટિકલ એજન્ટ હતા. ઈડરના ઠાકોર સાથે તેમને સારા સબંધો હતા. ઠાકોરને કહી તેમણે ઈડરમાં કવિઓનો મેળાવડો કરાવ્યો હતો. બાદમાં આ સંમેલનનો અહેવાલ કવિ દલપતરામે પોતાની આગવી રીતે 'કવિતા વિલાસ'નામના કાવ્યમાં લખ્યો હતો. હવે તો અનેક કવિ સંમેલનો થતા રહે છે અને ગુજરાતી કવિતાનો તેમાં ઉછેર થતો જોવા મળે છે.

રસપ્રદ રીતે ગુજરાતી લેખનની શરૃઆત પણ કવિતાથી જ થઈ હતી. ૧૧૬૯માં રચાયેલી 'ભરતેશ્વર બાહુબલિ ઘોર' નામની કૃતિ ગુજરાતી ભાષાની પ્રથમ રચના ગણાવાય છે. સાડા આઠસો વર્ષ પહેલા લખાયેલી આ કૃતિમાં ૪૮ કડી હતી. એટલે કે એ કવિતા પ્રકારની રચના હતી. વજ્રસેનસૂરી નામના જૈન કવિએ તેની રચના કરી હતી.

મધ્યકાલીન ગુજરાતીના સંશોધક રમણલાલ ચી.શાહે 'નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય'માં નોંધ્યા પ્રમાણે ૧૧૬૯માં ગુજરાતી ભાષાના સ્વતંત્ર લક્ષણો આ રચનામાં દેખાતા હતા. એ પહેલા વપરાતી આવતી અપભ્રંશ ભાષાનો સમય એ વખતે પુરો થવામાં હતો. માટે સમ્રાટ બાહુબલિનું વર્ણન કરતી રચના ગુજરાતી ભાષાની પ્રથમ રચના ગણાય છે, સાથે સાથે એ ગુજરાતીમાં લખાયેલી પ્રથમ કવિતા પણ હતી.

ઘોર પછી તુરંત ૧૧૮૫માં રચાયેલી બીજી કૃતિ 'ભરતેશ્વર બાહુબલિ રાસ' હતી. એ પણ કવિતા પ્રકારની જ રચના હતી. એટલે એમ કહી શકાય કે ગુજરાતી સાહિત્યનો પ્રારંભ કવિતાથી થયો હતો. મધ્યકાલીન યુગમાં આમેય સૌથી વધુ રચના રાસની જ થતી હતી, માટે તેને 'રાસયુગ' પણ કહેવામાં આવે છે.


વિશ્વ વન દિવસ

Image result for world forest day

દર વર્ષે માર્ચ ૨૧નાં રોજ આખા વિશ્વમાં વિશ્વ વન દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. 
જેનો મુખ્ય ઉદ્દેશ્ય વનો દ્વારા મળતા અગણિત લાભો,પેદાશો અને ઉપકારોને યાદ કરી તેનું ઋણ ચૂકવવાનો છે. વનોને કઇ રીતે જાળવવા જોઇએ તથા તેને નુકશાન પહોંચાડ્યા સિવાય તેનું આયોજન અને વ્યવસ્થાપન કઇ રીતે કરવું જોઇએ કે જેથી અત્યાર સુધી મળતા ફાયદાઓ ભવિષ્યમાં પણ મેળવી શકાય તે અંગેની જાગૃતિ આ દિવસે ફેલાવવામાં આવે છે.
ઇ.સ. ૧૯૭૧ માં મળેલી ૨૩મી "યુરોપિયન કોન્ફેડરેશન ઓફ એગ્રીકલ્ચર" ની સામાન્ય સભામાં આ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. જેને "યુનાઇટેડ નેશન્સ ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન" (Food and Agriculture Organization) દ્વારા પણ સહકાર મળ્યો.
નવેમ્બર ૨૦૦૫માં "ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO)" (Food and Agriculture Organization) એ જાહેર કરેલ યાદી મુજબ વિશ્વમાં દર મીનીટે ૨૫ હેક્ટર એટલેકે ૩૬ ફુટબોલ મેદાન જેટલા કુદરતી વનોનો નાશ થઇ રહ્યો છે. જો આ જ ઝડપે વનોનો નાશ થવાનો ચાલુ રહેશેતો કદાચ એક દિવસ પૃથ્વી વનવિહોણી બની જશે. ભારતનાં સંદર્ભમાં જોઇએ તો વૈજ્ઞાનિકોના મતે ઓછામાં ઓછી ૩૩% જમીન વનવિસ્તાર ધરાવતી હોવી જોઇએ,જેની સામે આજે ફક્ત ૧૨% જમીન વનવિસ્તાર ધરાવે છે.આથી આપણે ફક્ત વનોને બચાવવાનાંજ નથી પરંતુ વનવિસ્તાર પણ વધારવાની જરૂર છે.