મંગળવાર, 30 જાન્યુઆરી, 2018


મોદીની કમ્બોડિયાના વડાપ્રધાન સાથે બેઠક, બન્ને દેશ વચ્ચે ચાર મહત્વના કરાર


- આતંકવાદ વિરોધી અભિયાન માટે હાથ મિલાવ્યા

- કરારોમાં આતંકવાદ, સમુદ્રી સુરક્ષા, વોટર રિસોર્સિસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો સમાવેશ


વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કમ્બોડિયાના તેમના સમકક્ષ સમડેચ હુન સેન વચ્ચે આજે એક મહત્વની બેઠક યોજાઇ હતી. જે દરમિયાન બન્ને દેશો વચ્ચે સંરક્ષણ, સિક્યોરિટી, આતંકવાદ વિરોધી અભિયાન વગેરે મુદ્દે ચર્ચા થઇ હતી. જોકે સૌથી વધુ ધ્યાન આતંકવાદ પર આપવામાં આવ્યું હતું અને આતંકી સંગઠનોને અન્ય દેશોમાંથી કે કોઇ પણ રીતે મળતી નાણાકીય સહાયને અટકાવવા અંગે વધુ ચર્ચા થઇ હતી. બન્ને વચ્ચે વાતચીત બાદ ભારત અને કમ્બોડિયાએ ચાર કરાર પણ કર્યા હતા.

બન્ને દેશ વચ્ચે થયેલા ચાર મહત્વના કરારોમાં ગુનાહીત કેસોના નિકાલમાં આવી રહેલી અડચણોને દુર કરવાનું પણ સામેલ છે. ભારત કમ્બોડિયાને ૩૬.૯૨ મિલિયન ડોલરના વોટર રિસોર્સિસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે નાણાકીય સહાય પણ આપશે. બન્ને દેશો વચ્ચે વર્તમાન નાણાકીય અને અન્ય કરારો અંગે સંતોષ વ્યક્ત કરતી વેળાએ બન્ને દેશના વડાઓએ આગામી દિવસોમાં સંબંધોને વધુ મજબુત બનાવવામાં આવે તેવા પ્રયાસો કરાશે તેમ પણ જણાવ્યું હતું.

ત્રીજો મહત્વનો મુદ્દે સમુદ્રી કરારો પણ હતા, સમુદ્રી કરારોમાં ચાંચીયાઓને અટકાવવા, સિક્યોરિટી લાઇન અને કોમ્યુનિકેશન સિસ્ટમને વધુ સક્ષમ બનાવવાનો પણ સમાવેશ થાય છે. બન્ને દેશના વડાઓએ દરેક પ્રકારના આતંકવાદ સામે અભિયાન ચલાવવા પર ભાર મુક્યો હતો અને જણાવ્યું હતું કે આતંકવાદ તે આતંકવાદ છે, અને જે પણ લોકો આતંકવાદને સમર્થન આપી રહ્યા છે તેની ટીકા થવી જોઇએ સાથે તેની વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવે.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો