શુક્રવાર, 26 જાન્યુઆરી, 2018


વિવિધ ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન કરનારા ૮૫ મહાનુભાવને પદ્મ એવોર્ડની જાહેરાત



સંગીત કલાક્ષેત્રે તમિલનાડુના ઇલિયારાજા, મહારાષ્ટ્રના ગુલામ મુસ્તુફા ખાન અને સાહિત્ય ક્ષેત્રે કેરલના પરમેશ્વરન પરમેશ્વરનને પદ્મવિભૂષણ એવોર્ડ, સુપ્રસિધ્ધ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીને પદ્મભૂષણ.

દેશના સર્વોચ્ચ સન્માન પદ્મ એવોર્ડ શ્રેણીના પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી એવોર્ડની આજે ગણતંત્ર દિન નિમિત્તે જાહેરાત થઇ હતી. આ એવોર્ડ વિવિધ ક્ષેત્રમાં મહત્ત્વનું યોગદાન કરનાર હસ્તીઓને એનાયત થાય છે. રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં આ એવોર્ડ એક સમારંભમાં એનાયત થાય છે. આ વર્ષે ૮૫ પદ્મ એવોર્ડ જાહેર થયા છે. જેમા ત્રણ પદ્મ વિભૂષણ, ૯ પદ્મભૂષણ અને ૭૩ પદ્મશ્રી એવોર્ડ જાહેર કરાયા હતા. જેમાં ૧૪ મહિલા હસ્તીઓ છે અને ૧૬ વિદેશી એનઆરઆઈ છે. ત્રણ એવોર્ડ મરણોત્તર છે.

આજે જાહેર કરાયેલા ત્રણ પદ્મવિભૂષણ પૈકી એવોર્ડ તમિલનાડુના ગીત સંગીત ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન કરનારા શ્રી ઇલૈયારાજા, શ્રી ગુલામ મુસ્તુફા ખાન અને સાહિત્યતેમજ શિક્ષણ ક્ષેત્રે શ્રી પરમેસ્વરન પરમેશ્વરનને ફાળે ગયા હતા. પદ્મભૂષણ એવોર્ડ મેળવનારાઓ પૈકી રમત ગમત ક્ષેત્રે પંકજ અડવાણી, ક્રિકેટર મહેન્દ્ર ધોની, ચિત્રકાર લક્ષ્મણ પાઈ અને સંગીતકાર અરવિંદ પરિખનો સમાવેશ થાય છે.

પદ્મશ્રી એવોર્ડ મેળવનારામાં સમાજ સેવક દામોદર બાપટ, લોકસંગીતકાર મોહન સ્વરૃપ ભાટિયા, મણીપુરના વેઇટ લિફ્ટર સાઈપોમ મિરાબાઈ ચાનુ, વેપાર ઉદ્યોગ ક્ષેત્રે જોસ મા જોઈ (વિદેશી), કળા અભિનય ક્ષેત્રે મનોજ જોષી, અધ્યાત્મિક ક્ષેત્રે રાજસ્થાનના નારાયણદાસ મહારાજ, યોગવિદ્યા ક્ષેત્રે નૌફ મારવાઈ (વિદેશી) સાહિત્ય, શિક્ષણ અને પત્રકાર ક્ષેત્રે 'ગુજરાત સમાચાર'ના તસવીરકાર ઝવેરીલાલ મહેતા, સામાજિક કાર્યકર સુભાશિની મિસ્ત્રી, ગુજરાતના સિવિલ સર્વિસ ક્ષેત્રે એસ.એસ.રાઠોડ અને મેડિસિન ક્ષેત્ર પંકજ એન. શાહનો સમાવેશ થાય છે. 

ઉલ્લેખનીય છે કે ગણતંત્ર દિન નિમિત્તે જાહેર કરાયેલા આ એવોર્ડસ દર વર્ષે માર્ચ કે એપ્રિલમાં રાષ્ટ્રપતિ ભવનમાં સમારંભ યોજીને રાષ્ટ્રપતિના હસ્તે એનાયત થાય છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો