બુધવાર, 6 સપ્ટેમ્બર, 2017

દોકલામ વિવાદ પર પૂર્ણવિરામ, વિનાશ નહીં વિકાસમાં રસ: મોદી-જિનપિંગ

ભારત અને ચીન એકબીજા માટે ભય નહીં પણ તક છે, ભારત ચીનના વિકાસને વ્યાપક દૃષ્ટિથી જુએ : ચીન.

દોકલામ વિવાદ મુદ્દે ચીને કહ્યું 'અમે વિશ્વને કહેવા માગીએ છીએ કે, બે દેશોનું શાંતિપૂર્ણ સહ અસ્તિત્વ વિન-વિન સિચ્યુએશન'

બ્રિક્સ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ જિનપિંગ વચ્ચે આખરે રુબરુ મુલાકાત થઈ હતી. આ મુલાકાતમાં બંને દેશના વડાએ દોકલામ જેવો વિવાદ ફરી ના સર્જાય એ મુદ્દે સહમતિ દાખવી હતી. એટલું જ નહીં, મોદી અને જિનપિંગે ભારત-ચીનના આર્થિક, રાજકીય સંબંધ યોગ્ય માર્ગ પર આગળ વધારવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી. આ મુદ્દે વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું હતું કે, ભારત અને ચીને દ્વિપક્ષીય સંબંધો મુદ્દે ફળદાયી બેઠક કરી છે. વિદેશ નીતિના નિષ્ણાતો પણ મોદી અને જિનપિંગની એક કલાક લાંબી બેઠકને ફળદાયી જણાવી રહ્યા છે.

આ બેઠક પછી વિદેશ સચિવ એસ. જયશંકરે જણાવ્યું હતું કે, બંને દેશો સરહદો મુદ્દે શાંતિ અને સંતુલન જાળવી રાખવા માટે સહમત થયા છે. વડાપ્રધાન મોદી અને ચીનના પ્રમુખ જિનપિંગે દોકલામ વિવાદને પાછળ છોડીને આગળ વધવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન બંને દેશોએ આર્થિક અને સુરક્ષા અને  જૂથોની વધુ ગાઢ ભાગીદારી કરવા મુદ્દે ચર્ચા કરી હતી. આ દિશામાં આગળ વધવું બંને દેશ માટે હિતાવહ છે. આ રીતે બંને દેશ પરસ્પરનો વિશ્વાસ વધુ મજબૂત કરવા માંગે છે. આ માટે બંને દેશોના લશ્કરી વડાઓ પણ સતત સંપર્કમાં રહીને સહકાર વધારશે.

ચીન વિદેશ મંત્રાલયના પ્રવક્તા જેંગ શુઆંગે જણાવ્યું હતું કે, ચીન પંચશીલના પાંચ સિદ્ધાંતોને અનુસરીને ભારત સાથે કામ કરવા આતુર છે, જેમાં પરસ્પરનો રાજકીય વિશ્વાસ, બંને દેશને ફાયદો થાય એ રીતે સહકાર અને દ્વિપક્ષીય સંબંધ થકી વિકાસ જેવા મુદ્દાનો સમાવેશ થાય છે. ચીનના પ્રમુખે મોદીને ભારપૂર્વક જણાવ્યું છે કે, ભારત અને ચીન એકબીજા માટે તક છે, ભય નહીં. અમે ઈચ્છીએ છીએ કે, ભારત ચીનના વિકાસને વ્યાપક દૃષ્ટિએ જુએ.

આ દરમિયાન જેંગને દોકલામ મુદ્દે પ્રશ્ન પૂછતા તેમણે કહ્યું હતું કે, અમે વિશ્વને કહેવા માગીએ છીએ કે, શાંતિપૂર્ણ સહ અસ્તિત્વ અને પરસ્પરનો સહકાર વિન-વિન સિચ્યુએશન જ બે દેશો વચ્ચેની સૌથી સારી સ્થિતિ છે. બંને દેશ એકબીજાના સાર્વભૌમત્વનું સન્માન કરે છે. ભારત અને ચીન સરહદી વિવાદો અભેરાઇએ ચડાવીને આગળ વધવા માંગે છે. અમે જાણીએ છીએ ત્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચીન સાથે સહમત થઈને સરહદે શાંતિ સ્થાપવા ઈચ્છે છે. જો દ્વિપક્ષીય સંબંધ સાચી દિશામાં આગળ વધશે તો બંને દેશના વિકાસને લગતા હેતુ પૂરા થશે.

ભારત અને ઈજિપ્ત દ્વિપક્ષીય સંબંધ મજબૂત કરવા આતુર
તા. 5 સપ્ટેમ્બર, 2017, મંગળવાર
બ્રિક્સ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈજિપ્તના પ્રમુખ ફત્તા અલ સીસી સાથે પણ દ્વિપક્ષીય બેઠક યોજી હતી. ઈજિપ્તના પ્રમુખ સાથે બેઠક યોજ્યા પછી જ વડાપ્રધાન મોદી ચીનના પ્રમુખ જિનપિંગને મળ્યા હતા. મોદીએ કહ્યું હતું કે, ઈજિપ્તના પ્રમુખ સાથે દ્વિપક્ષીય બેઠક કરીને ભારત ખુશ છે. બંને દેશો ઐતિહાસિક સંબંધો વધારે મજબૂત કરવાની દિશામાં આગળ વધવા આતુર છે. ઈજિપ્ત ભારતના મહત્ત્વના ભાગીદારો પૈકીનું એક છે. ભારત અને ઈજિપ્ત આર્થિક અને સુરક્ષા સંબંધિત ક્ષેત્રે આગળ વધીને હજુ વધારે મજબૂત સંબંધ સ્થાપવા આતુર છે.

વૈશ્વિક વિકાસ માટે હકારાત્મક વલણ રાખવાનું ભારતનું સૂચન

વિશ્વને વધુ સારું બનાવવા આપણે 'બ્રિક બાય બ્રિક' પ્રયાસ કરીશું : મોદી
આતંકનો સામનો કરવા ભારતે વૈશ્વિક ભાગીદારી વધારવાનું સૂચન કર્યું
તા. 5 સપ્ટેમ્બર, 2017, મંગળવાર

બ્રિક્સ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ભાગીદારી વધારવાની વાત કરી હતી. આ દરમિયાન તેમણે બ્રિક્સ સહિતના દેશોને દસ મુદ્દે સહમતિ દાખવવાનું પણ સૂચન કર્યું હતું.

બ્રિક્સ ઈમર્જિંગ માર્કેટ્સ એન્ડ ડેવલપિંગ કન્ટ્રીઝ ડાયલોગને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ભારત બીજા રાષ્ટ્રોના વિકાસ થકી પોતાનો વિકાસ કરવા માગે છે. અમે જે પણ કંઈ કરીએ છીએ તેની વૈશ્વિક સંતુલન પર અસર થાય છે. એટલે આ વિશ્વને વધુ સારું બનાવવાની આપણી ફરજ છે. આ માટે આપણે 'બ્રિક બાય બ્રિક' એટલે કે એક એક ઇંટ મૂકીને પ્રયાસ કરવા જોઈએ.

મોદીએ કહ્યું હતું કે, મેં કહ્યું હતું કે આગામી દસ વર્ષમાં બ્રિક્સ દેશો વિશ્વમાં બદલાવ લાવવામાં કારણભૂત બનશે. આ દસ વર્ષ આપણા માટે સુવર્ણ કાળ હશે. આ દિશામાં આગળ વધવા હું આપણી નીતિઓ, વલણ અને કાર્યોમાં હકારાત્મક વલણ રાખવાનું સૂચન કરું છું.

આ દરમિયાન બ્રાઝિલ, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા સિવાય ઈજિપ્ત, તાજિકિસ્તાન, થાઇલેન્ડ, મેક્સિકો અને ગિની જેવા દેશોના પ્રતિનિધિમંડળોએ પણ મહેમાન તરીકે હાજરી આપી હતી. આ તમામ દેશોને વડાપ્રધાને અત્યંત મહત્ત્વના ભાગીદારો ગણાવ્યા હતા. એ પછી મોદીએ તમામ દેશોને એક સ્થળે હાજર કરવા બદલ ચીનના પ્રમુખ જિનપિંગનો આભાર માન્યો હતો.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો